આધુનિક કલાના રસિકો માટે અબ્રાહમ પોઈનેશેવલનું નામ અજાણ્યું નથી. સાંપ્રત કલાજગતની એક દંતકથા સમાન અબ્રાહમ ફરી એક વાર એના એક અલ્ટીમેટ પ્રદર્શનથી વૈશ્વિક ચર્ચામાં છે.
પેરીસમાં પ્રારંભિત ઓલિમ્પિકની સાથોસાથ જ અબ્રાહમે સેન્ટ ડેનીસ કેનલના કાંઠે એક વિશાળ બોટલને પોતાનું અસ્થાયી નિવાસ સ્થાન બનાવ્યું છે. આ નિવાસનું નામ છે ‘La Bouteilla’( એનો અર્થ બોટલ થાય છે)
6×6 મીટરની બનેલી આ કાચની બોટલમાં અબ્રાહમ ઓગષ્ટની ત્રીજી તારીખ સુધી નિવાસ કરશે. મીની વિન્ડ ટર્બાઈન, કમ્પોસ્ટ ટોઇલેટ, જરૂરી ખાદ્ય પદાર્થો અને ઓછામાં ઓછી જરૂરિયાત ધરાવતા આ ઘરમાં રહીને 52 વર્ષીય અબ્રાહમ એની બાજુમાંથી પસાર થતા લોકો સાથે સંવાદ પણ કરી શકે એવી વ્યવસ્થા છે.
‘એકાંત’ અને ‘જાહેર જીવન’ કે પછી જાહેર જગ્યા વિશેના પોતાના ખ્યાલોને કલાના માધ્યમથી વ્યક્ત કરવાના એક પ્રયાસ રૂપે અબ્રાહમ અગાઉ પણ આવા કલાત્મક પ્રયોગ કરી ચુક્યો છે.
૨૦૧૪માં અબ્રાહમે રીંછની ખાલમાં નિવાસ કરીને સૌને આશ્ચર્ય ચકિત કરી દીધેલા. એ પહેલા પણ એને એક શિલ્પમાં નિવાસ કરેલો. આમ ગુપ્તતા, ગોપનીયતા (privacy) અને જાહેર સ્થળો (public place)ના વિચારને અન્વેષિત કરવાના હેતુ સહ આ કલાકાર અભિનવ અને પડકાર જનક પ્રયોગો કરતો રહે છે.
પેરીસ ઓલિમ્પિકના ખેલાડીઓ અને દર્શકો માટે આ એક વિશેષ દર્શનીય ઘટના બની રહેવાની.
સોશિયલ મીડિયા દવારા પ્રદર્શિત જાહેર જીવન વિષે આશ્ચર્ય પ્રગટ કરતા એ કહે છે કે “ સમગ્ર વિશ્વ પોતાને નિહાળી રહ્યું છે, એની સંપૂર્ણ જાણ સાથે પણ લોકો નીજી જિંદગી વિષે કેમ સઘળું જાહેર કરવા ઉત્સુક હોય છે, એનું મને આશ્ચર્ય છે”

More Stories
સુરતના સૈયદપુરાનો અનોખો મહોબ્બત મહોલ્લો
700 વર્ષ જૂની ‘ટાંગલિયા કળા’ માટે લવજીભાઈ પરમારને પદ્મશ્રી સન્માન – જાણો આ અનોખી હસ્તકલા વિશે!
જાજરમાન જામનગરી વાનગી – ઘુટો