વડોદારમાં શ્રી અરવિંદ લગભગ ૧૨ વર્ષ ( 1893 -1906)થી પણ વધુ સમય સુધી રહ્યા. પ્રારંભમાં તેમનું નિવાસ સ્થાન બદલાતું રહ્યું, પરંતુ ત્યારબાદ વડોદરા છોડયું, એ પહેલા તેઓ જે નિવાસ સ્થાનમાં છ વર્ષ રહ્યા એ બંગલો ત્યારબાદ રાજ્ય સરકાર હસ્તક હતો.
આ બંગલાને રાજ્ય સરકારે પછી શ્રી અરવિંદ સોસાયટી, વડોદરાને અર્પણ કર્યો. એ દિવસ હતો ૨૯ સપ્ટેમ્બર, ૧૯૭૧.
ડો. કરણસિંહ ( તત્કાલીન કેન્દ્રીય મંત્રીશ્રી)ની ઉપસ્થિતિમાં તત્કાલીન રાજ્યપાલ શ્રીમન્ન નારાયણના હસ્તે આ બિલ્ડીંગનું હસ્તાંતરણ થયું. આજે તો છેલ્લા 52 વર્ષથી ‘શ્રીઅરવિંદ નિવાસ’ એક રાષ્ટ્રીય સ્મારક બન્યું છે. સમગ્ર વર્ષ દરમ્યાન દેશ -પરદેશથી અસંખ્ય મુલાકાતીઓ આ રાષ્ટ્રીય સ્મારકની મુલાકાતે આવે છે અને શ્રી અરવિંદને શ્રદ્ધા સુમન અર્પે છે.
શ્રી અરવિંદ નિવાસના સ્થાપના દિવસ નિમિત્તે આયોજિત વિવિધ કાર્યક્રમો અંતર્ગત શ્રી એમ પી આર્ટસ લવર્સ ગ્રુપ ( ગાંધીનગર)દવારા શ્રી અરવિંદ કૃત અંગ્રેજી મહાકાવ્ય ‘ સાવિત્રી: એક પુરાણકથા અને પ્રતિક’ આધારિત એક નાટયકૃતિનું મંચન થયું. પ્રો. ડો. મમતા બુચ દવારા દિગ્દર્શિત, અભિનીત અને પ્રસ્તુત આ નાટકને શ્રી અરવિંદ નિવાસના સુજ્ઞ દર્શકોએ સહર્ષ વધાવી લીધું. સૌ યુવા કલાકારોએ પોતપોતાના પાત્રને સરસ ન્યાય આપ્યો. ઉત્તમ અભિનય, અદભુત સંવાદ લેખન, પ્રકાશ –ધ્વની અને ડીજીટલ ઈફેક્ટના કારણે નાટક વધુ રસપ્રદ બન્યું.
પ્રારંભમાં શ્રી અરવિંદ સોસાયટીના અધ્યક્ષ શ્રી શરદભાઈ જોશીએ સૌનું શાબ્દિક અભિવાદન કર્યું. શ્રી કૈલાશ જોશી દવારા આભારદર્શન સહ કાર્યક્રમ પૂર્ણ થયો. અંતે મહાપ્રસાદ સાથે ઉજવણી સંપન્ન થઇ.

More Stories
સુરતના સૈયદપુરાનો અનોખો મહોબ્બત મહોલ્લો
700 વર્ષ જૂની ‘ટાંગલિયા કળા’ માટે લવજીભાઈ પરમારને પદ્મશ્રી સન્માન – જાણો આ અનોખી હસ્તકલા વિશે!
જાજરમાન જામનગરી વાનગી – ઘુટો