CATEGORIES

April 2025
M T W T F S S
 123456
78910111213
14151617181920
21222324252627
282930  
Wednesday, April 2   2:20:12

હું તો બસ ફરવા આવ્યો છું …. નિરુદેશે ફરવા નીકળેલા એક યુગલની વાત

Written by Dilip Mehta.

ભગત સાહેબની એક કવિતાને ઝીલનારા અને જીવનારા આર્જેંટીના દેશના એક યુગલની વાત આજકાલ સમાચાર સુરખીઓમાં છે.
‘સ્વ’નીશોધમાં નીકળી પડેલા કોઈ પરિવ્રાજક, સાધુ કે સંતની આ વાત નથી, મહિનાઓ સુધી પ્રલંબ પદયાત્રા કરનારા આસ્તિકોની પણ આ વાત નથી. હિમાલય કે ગિરનારની કંદરાઓમાં ભટકતાં કોઈ નીમપાગલ માણસની પણ આ કથા નથી.
આ કથા છે, એક એવા યુગલની, જેમણે મુસાફરીને પોતાનું ઘર ગણ્યું. તેઓને માટે તો HOME WAS A JOURNEY !
છેલ્લા 22-22 વર્ષથી એક કારમાં નિરુદેશે વિશ્વ પ્રવાસે નીકળી પડેલું આ યુગલ હરમન અને કેંડેલેરિયા એના સંતાનો સાથે હવે સુખરૂપ ઘરે પહોંચી ચૂક્યું છે.
ઈસ્વીસન 2000 માં પોતાની 1928 જલોપી કારમાં આ યુગલે વિશ્વ યાત્રાનો પ્રારંભ કર્યો,ત્યારે દુનિયા જુદી હતી , અને આજે બે દાયકા બાદ પણ દુનિયા કદાચ બદલાઈ ગઈ છે , અને છતાં તેઓને લાગે છે કે કશું બદલાયું નથી , સિવાય કે સંચારના સાધનો .મોબાઈલ , નેટવર્ક વગેરે.
એ સમયે સ્માર્ટ ફોન એક લક્ઝરી હતો. નેટવર્ક હજી એની શિશુ અવસ્થામાં હતું. એ માહિતી /જ્ઞાન અને આશાનું એક સ્થાનક હતું, જે હવે disinformation અને division નું નિમિત્ત બનતું જોવા મળે છે. ફરી એક વાર દુનિયાને યુદ્ધ જોવાનો વારો આવ્યો છે .
ત્યારે ન્યૂયોર્કમાં ટ્વીન ટાવર્સ સલામત રીતે ઊભા હતા. રશિયા એના ભૂતકાળની છાયા વાળું એક નાનકડું કોચલું હતું.
સન 2000 થી 2022 સુધીમાં આ યુગલે પાંચ ખંડના 102 દેશોની યાત્રા કરી છે.એમની આ પ્રલંબ યાત્રામાં આ યુગલ અજાણ્યા પ્રદેશના અજાણ્યા લોકોની ભલમનસાઈ પર જ આધારિત રહ્યું. આ દંપતી એ જણાવ્યુ કે લગભગ 2000 જેટલા પરિવારોની એમણે આગતા સ્વાગતા-મહેમાન ગતિ માણી છે.
બે હજાર પરિવારોના યજમાન બનવાનો પણ આ એક રેકોર્ડ હોય શકે !
એમનો આ અનુભવ એટલું તો સાબિત કરે છે કે દુનિયામાં હજુ માણસાઈ મરી નથી.જ્યાં પણ તેઓને આશરો ન મળ્યો ત્યાં એ લોકોએ ‘કાર’ ને જ ‘ઘર’માની લીધું અને એ રીતે નિભાવી લીધું.
આ યાત્રા દરમ્યાન જુદા જુદા ચાર દેશોમાં એમણેચાર સંતાનોને જન્મ પણ આપ્યો. પ્રત્યેક દેશના વિઝાના કાયદાઓ , નિયમો, સરહદના કાયદાઓને એમણે જાણે કે ‘કાગળ પરના નકશા’ ની જેમ જ ગણ્યા. સરહદો એમને મન કાગળના નકશા જ બની રહી. (ખરેખર તો આ વિગતો વિષે તેઓએ વિગતવાર માહિતી આપવી જોઈએ)
પરિવાર જેમજેમ વિસ્તરતો ગયો , તેમ તેમ તેમ કાર નું પણ નવીનીકરણ થતું રહ્યું . કારની સાઇઝ અને સ્ટ્રેંથ વધારવી પડી ! કારની સાથે જોડાયેલ ટ્રંક રસોડુ બની ગયું. મુસાફરી ઘણી જ સંઘર્ષ પૂર્ણ રહી.
વચ્ચે વચ્ચે , આ પરિવારે ઇબોલા , ડેન્ગ્યુ, મેલેરિયા , જેવા અનેક નાના મોટા રોગોનો સામનો કરવો પડ્યો. ખાનાબદોશ કે ભટકતું જીવન ગાળનાર દંપતિ તરીકે તેઓએ જ્યારે પોતાનું ઘર છોડયું , ત્યારે એમનું ઘર ભર્યું ભાદર્યું હતું , પગાર –નોકરી સારા હતા.એમના લગ્ન જીવનને છ વર્ષ થયેલા.
યાત્રા દરમ્યાન ચાર સંતાનો જન્મ્યા. પંપા ( 19), ટેહુ (16), પલોમાં (14) અને વોલાબી(12).
વિશ્વ યાત્રા બાદ 53 વર્ષીય હરમન હવે સંતુષ્ટ છે , પરંતુ યાત્રાનો બીજો રાઉન્ડ કરવાનો મનોરથ પણ એના મનમાં છે, બોલો !
હરમન અને કેંડેલેરિયાની કથા વાંચતાં વાંચતાં આપણને ભગત સાહેબની કવિતા અચૂક યાદ આવે :
હું તો બસ ફરવા આવ્યો છું !
હું ક્યાં એકે કામ તમારું કે મારું કરવા આવ્યો છું?
અહી પથ પર શી મધુર હવા
ને ચહેરા ચમકે નવા નવા !
–રે ચહું ન પાછું ઘેર જવા !
હું ડગ સાત સુખે ભરવા અહી સ્વપ્નમહીં સરવા આવ્યો છું !
જાદુ એવો જાય જડી
કે ચાહી શકું બે ચાર ઘડી
ને ગાઈ શકું બે ચાર કડી
તો ગીત પ્રેમનું આ પૃથીના કર્ણપટે ધરવા આવ્યો છું !
હું તો બસ ફરવા આવ્યો છું ! !